સ્વામિનારયણ ગાદી સંસ્થા – મણિનગર મંદિર ખાતે શાકોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો. મોટી સંખ્યામાં હરભગતો રહ્યા ઉપસ્થિત

By: nationgujarat
19 Feb, 2024

લોયામાં સં. ૧૮૭૮ મહા સુદ સાતમના શાકોત્સવની ઉજવણી કરવામાં આવી એ જ તિથિએ ૨૦૨ વર્ષે મણિનગરમાં ઉજવાયો શાકોત્સવ…

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં શ્રી સ્વામિનારાયણ મંદિરો છે ત્યાં-ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે.
જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે.

૨૦૨ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયાગામે સં. ૧૮૭૭ મહા સુદ સાતમે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે ૧૮ મણ ઘીનો વઘાર કરીને ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. આજે પણ મહા સુદ સાતમ છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામના દરબાર ભક્ત સુરાખાચરને ત્યાં કરેલી શાકોત્સવની દિવ્ય સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે.

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હતું. પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.’ ૨૦૨ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે.

ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પૂજનીય સંતો તથા દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાસભર શાકોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ વાજતે ગાજતે સંતો હરિભક્તોના સમૂહ સહિત દર્શન આપતાં, વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, ભારતની કર્ણપ્રિય સૂરાવલિઓના નિનાદે સ્ટેજ ઉપર પધાર્યા હતા. સ્ટેજ પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પધરાવ્યા હતા. સ્ટેજ પર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શાકોત્સવનું શાક વઘારવાની તેમજ રોટલા બનાવવાની દિવ્ય લીલાની સ્મૃતિ તાદ્રશ્ય કરતા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ સિંહાસન મઘ્યે આરુઢ થયા હતા. સંતોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. તેમજ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઈતિહાસ વગેરે અધ્યાત્મસભર મહિમા ગાન કર્યું હતું.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શાકોત્સવના શુભ અવસરે આરતી ઉતારી હતી અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આશીર્વાદ પૂર્ણ થયા બાદ હરિભક્તોએ પણ ઉમંગભેર આરતી ઉતારવાના લ્હાવા લીધા હતા અને ભક્તિભાવથી દિવ્ય શાકોત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. શાકોત્સવ અવસરે રીંગણાં, ટમેટાં, મરચાં આથેલા, કઢી, બાજરીનો લોટ, ઘી, ખીચડી, ગોળ વગેરે સીધાં સમગ્રીનો ઉપયોગ કરાયો હતો. અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.


Related Posts

Load more